મુંબઈ : કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ' ની રીલીઝને લઈને સંકટના વાદળ હવે વિખેરાઈ ગયા છે. આજે ફિલ્મના નિર્માતા-નિર્દેશક કરણ જોહર અને મહારાષ્ટ્ર નવનિર્માણ પાર્ટીના પ્રમુખ Raj Thackeray એ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી જ્યાર બાદ ફિલ્મની રીલીઝનો રસ્તો સાફ થઇ ગયો છે. આ મુલાકાતમાં કરણ જોહરે એમએનએસની માંગણી માની લીધી છે.
આજે સવારે આશરે ૯ વાગે રાજ ઠાકરે અને કરણ જોહર મુખ્યમંત્રી ફડણવીસ સાથે મુલાકાત કરવા પહોચ્યા હતા. બેઠકમાં પ્રોડ્યુસર્સ ગિલ્ડના અધ્યક્ષ મુકેશ ભટ્ટ પણ હાજર હતા. નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર, સજ્જાદ નાડિયાવાલા અને ફોકસ સ્ટાર સ્ટુડીઓના વિજય સિંહ પણ આ અવસર પર હાજર હતા. ત્યારે રાજ ઠાકરે સાથે એમએનએસ નેતા શાલીની ઠાકરે અને અમેય ખોપકર પણ સીએમ આવાસ પહોચ્યા હતા.
પાકિસ્તાન કલાકારો સાથે કામ નહિ કરીએ : મુકેશ ભટ્ટ
ફિલ્મ નિર્માતા મુકેશ ભટ્ટે જણાવ્યું કે, બેઠકમાં ફિલ્મની રીલીઝને લઈને સહમતી બની ગઈ છે. આ સાથે જ આ આશ્વાસન આપ્યું છે કે, આગળ કોઈ પણ ફિલ્મ નિર્માતા પાકિસ્તાની કલાકારો સાથે કોઈ ફિલ્મ નહિ કરે.
મુકેશ ભટ્ટે કહ્યું કે, ફિલ્મ નિર્માતા કરણ જોહરે પોતાની ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ' ની શરૂઆતમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક વિશેષ ઉલ્લેખ કરવાનો નિર્ણય લીધો છે. અમે આર્મી વેલફેર ફંડમાં પણ યોગદાન કરીશું.
મુકેશ ભટ્ટે જણાવ્યું કે, સર્જીકલ સ્ટ્રાઈક બાદથી ભારત-પાકિસ્તાન સબંધોની અસર બોલીવુડ ફિલ્મોમાં કામ કરનાર પાકિસ્તાની કલાકારો પર પડી છે. મનસે તરફથી જારી કરવામાં આવેલ નિવેદનમાં પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, તે ફિલ્મને રીલીઝ થતી નહિ રોકે.
૫ કરોડ રૂપિયા આપવા પડશે
ત્યારે, જે ફિલ્મોમાં પાકિસ્તાન કલાકાર છે તે ફિલ્મના પ્રોડ્યુસર્સને આર્મી વેલફેયર ફંડમાં ૫ કરોડ રૂપિયા આપવાની માંગણી રાજ ઠાકરેએ રાખી છે. કરણ જોહરે રાજ ઠાકરેની આ માંગણી માંગી લીધી છે. ફિલ્મ હીટ થાય કે ન થાય, પરંતુ તે ૫ કરોડ રૂપિયા આપશે.
રાજ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પાકિસ્તાની જયારે ઈચ્છે છે કે ત્યારે તમારી ફિલ્મો અને ચેનલ પર પ્રતિબંધ મૂકી દે છે. તમને લોકોને જ આટલી આતુરતા કેમ છે. આ વાત મેં મુકેશ ભટ્ટ અને તે લોકોને કહી છે. પ્રોડ્યુસર્સ ગિલ્ડ અમને લખીને આપે કે, ભવિષ્યમાં અમે ક્યારેય પણ પાકિસ્તાની કલાકાર કે ટેકનીશીયનને નહિ લે. મેં એ પણ કહ્યું છે કે, પ્રાયશ્ચિતના આધાર પર તે આર્મી વેલફેરને ૫ કરોડ રૂપિયા આપે. મનોહર પર્રીકરને ચેક આપે. આ અમારી સંપૂર્ણ જીત છે. મને નથી લાગતું કે, લોકો આ ફિલ્મ જોવા નહિ જાય.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ નિર્માતા મુકેશ ભટ્ટે ગુરુવારે આ સંબંધમાં કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. બાદમાં તેમણે જણાવ્યું હતું કે, ગૃહમંત્રીએ તેમને ૧૦૦ ટકા સમર્થનનો વિશ્વાસ આપ્યો છે. કરણ જોહરના સમર્થનમાં ઘણા ફિલ્મકારોએ પોતાના વિચાર જાહેર કર્યા હતા. કરણ જોહરે બાદમાં એક વિડીઓ રીલીઝ કરીને સૈનિકોને સેલ્યુટ કર્યું હતું અને કહ્યું હતું કે તે આતંકવાદની નિંદા કરે છે.
The post આખરે માની ગયા Raj Thackeray, ‘એ દિલ…’ ની મુશ્કેલી ખત્મ, પણ આપવા પડશે ૫ કરોડ રૂપિયા appeared first on Vishva Gujarat.